
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટો ખુલાસો, એર ઈન્ડિયાએ 3 મહિના પહેલા જ બદલ્યું હતું પ્લેનનું એક એન્જિન
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. 12 વર્ષ જૂના આ વિમાનમાં જમણી સાઈડના એન્જિનમાં થોડા દિવસ પહેલા જ સમારકામ કરાયું હતું. અને ત્રણ મહિના પહેલા માર્ચ 2025માં બદલવામાં આવ્યું હતું. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 12 ક્રૂ સભ્યો સહિત 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં એક મુસાફર સિવાય તમામ 241 લોકોના મોત થયા હતા. આગામી તપાસ ડિસેમ્બરમાં થવાની હતી
એર ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાનના એન્જિનની તપાસ એઆઈ એન્જિનિયરિંગ સર્વિસીસ લિ. દ્વારા કરવામાં આવી હતી. 12 વર્ષ જૂના આ વિમાનના જમણા એન્જિનનું મોટાપાયે રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને માર્ચ ૨૦૨૫માં જ તેને ફરી વિમાનમાં ઈન્સ્ટોલ કરાયું હતું. જ્યારે ડાબા એન્જિનની તપાસ એન્જિન ઉત્પાદક કંપનીના પ્રોટોકોલ મુજબ એપ્રિલ ૨૦૨૫માં કરાઈ હતી. વિમાનમાં જીઈ એરોસ્પેસ દ્વારા ઉત્પાદિત જીઈએનએક્સ એન્જિન લગાવાયા હતા. દાયકાઓમાં સૌથી ખરાબ હવાઈ અકસ્માત
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયા વિમાનની મરામત તપાસ જૂન 2023માં પણ કરવામાં આવી હતી અને તેની તપાસનો આગામી રાઉન્ડ આ વર્ષે ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવ્યો હતો. એપ્રિલમાં એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે વીમા કવર 750 કરોડ રૂપિયાથી વધારીને 850 કરોડ રૂપિયા કર્યું હતું. અમદાવાદમાં થયેલ અકસ્માત એક દાયકાથી વધુ સમયમાં દેશમાં થયેલા સૌથી ખરાબ હવાઈ અકસ્માતોમાંનો એક છે. અત્યાર સુધીમાં 202 ડેડબોડી આપી દેવામાં આવી
અમદાવાદમાં ગુરુવાર એર ઈન્ડિયાનું બે એન્જિનનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન એરપોર્ટ પરથી ટેકઓફ થતા સેકંડોમાં તૂટી પડયું હતું. AI 171 મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જેમાં અત્યાર સુધી 275 લોકોના મોત થયા છે. ડેડબોડીના ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને સોંપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 202 ડેડબોડી આપી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે એર ઈન્ડિયાએ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે ટાટા સન્સ તરફથી પહેલા જ અલગથી 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.