વૃક્ષારોપણ સાથે માવજતનો સંકલ્પ જરૂરી : વાંઝ ગામે ચોર્યાસી તાલુકા પંચાયત અને વાંઝ ગ્રામ પંચાયતનો પર્યાવરણ અભિયાન કાર્યક્રમ
વૃક્ષારોપણ સાથે માવજતનો સંકલ્પ જરૂરી” : વાંઝ ગામે ચોર્યાસી તાલુકા પંચાયત અને વાંઝ ગ્રામ પંચાયતનો પર્યાવરણ અભિયાન કાર્યક્રમ
અશોક પટેલ વાંઝ
તા. 03/06/2026
ચોર્યાસી તાલુકા પંચાયત અને વાંઝ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે વાંઝ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાંઝ ગામના સરપંચશ્રીમતી હીનાબેન પટેલ, ઉપસરપંચ શ્રી જતીનભાઈ, તલાટી-કમ-મંત્રી શ્રી મુલુભાઈ, પંચાયત સભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ તેમજ ગામના સામાજિક અગ્રણી શ્રી અશોકભાઈ પટેલ, શ્રી અમીષભાઈ, શ્રી અનતભાઈ અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગામના તળાવ સામે આવેલી જગ્યાએ વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ બાદ તેની યોગ્ય માવજત અને સંભાળ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કારણ કે માત્ર વૃક્ષ રોપવાથી પર્યાવરણ બચતું નથી, તેની નિયમિત દેખરેખ અને જાળવણી પણ એટલી જ જરૂરી છે. માણસજાતને દરેક વર્ષે “પર્યાવરણ બચાવો” કહેવું પડે છે, જ્યારે વૃક્ષો કરોડો વર્ષથી પોતાનું કામ કરતા આવ્યા છે.
સરપંચશ્રીમતી હીનાબેન પટેલે વૃક્ષોને નિયમિત પાણી મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવાની વાત કરી હતી, જેથી નહેરના પાણી દ્વારા વૃક્ષોની જાળવણી સરળ બની શકે. સાથે જ ગામના દરેક નાગરિકે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવો જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
ગામજનોએ કાર્યક્રમને હર્ષભેર આવકાર્યો હતો અને પર્યાવરણ સુરક્ષા માટે સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।