અડીયા ગામની ઓળખ અને ખેડૂતોના સાચા માર્ગદર્શક સ્વ. દયાળજીભાઈ પટેલ અનંત યાત્રાએ, આખું ગામ શોકમગ્ન.....
અડીયા ગામની ઓળખ અને ખેડૂતોના સાચા માર્ગદર્શક સ્વ. દયાળજીભાઈ પટેલ અનંત યાત્રાએ, આખું ગામ શોકમગ્ન.....
સ્વ. દયાળજીભાઇ પ્રભુદાસ પટેલ હવે આ દુનિયામાં નથી… પરંતુ એમનો અવાજ, એમની સેવા, એમની ભકિત અને ગામ માટેનો પ્રેમ અડીયાની દરેક શેરીમાં હંમેશા ગુંજતો રહેશે…દયાળજીભાઇ માત્ર નામ નહોતું..એ અડીયા ગામની ઓળખ હતા… ખેડૂત સમાજના મજબૂત અવાજ, ભારતીય કિસાન સંઘના અડીયા ગામના પ્રણેતા અને ખેડૂત હિત માટે લડનાર નિડર ક્રાંતિકારી આગેવાન હતા. ખેડૂતના હક માટે દયાળજીભાઇ ક્યારેય ડર્યા નહીં, સાચી વાત માટે હંમેશા અડીખમ ઉભા રહ્ય,પણ જીવનભર કોઈ વિવાદમાં આવ્યા નહી. કારણ કે એમના શબ્દોમાં તાકાત હતી. સ્વભાવમાં સાદગી હતી અને દિલમાં માત્ર ગામ માટેની લાગણી હતી.ખેડુતોનું મંડળ તેમણે એવી નિષ્ઠા અને સમજદારીથી ચલાવ્યું કે આજે પણ અનેક ખેડુતો ગૌરવથી એમનું નામ લે છે.ખેડૂતની પીડા એમને પોતાની લાગતી,અને અન્યાય સામે લડવાની બહાદુરી એમના લોહીમાં હતી.સવારે ગામ હજુ ઊંઘતું હોય ત્યારે દયાળજીભાઇ જાગી જતા,શિયાળાની કડકડતી ઠંડી હોય ચોમાસામાં ધોધમાર વરસાદ હોય પરંતુ રોજ સવારની નિયમિત પ્રભાત ફેરીના એ પ્રણેતા હતા. એમના સુરીલા કંઠે ગવાતા પ્રભાતિયાં અને “હરી ઓમ તત સત… જય ગુરુ તત સત…” ની ધૂનથી આખું ગામ પવિત્ર બની જતું… ગામની શેરીઓમાં ફરી લોકોને જગાડતા અને પંખીડાં માટે ચણના દાણા ભેગા કરતા હતા. તેમણે નાના હનુમાનજી મંદિરે જીવનના અંતિમ દિવસો સુધી નિયમિત ભકિત અને દુધેશ્વર ભોજનાલયની સેવા ચાલુ રાખી આવા પરોપકારી કાર્યો કરવા સમજીએ એટલા સહેલા નથી હોતા. આ માટે મોટું દિલ જોઈએ, ગામ માટે જીવવાની ભાવના જોઈએ, અને એ દયાળજીભાઇ માં ભરપૂર હતી. દુધેશ્વર ભોજનાલયનો વહીવટ પણ જીવનના અંતિમ શ્વાસ સુધી નિષ્ઠાપૂર્વક સંભાળ્યો. સેવા એમના માટે ફરજ નહોતી, સેવા તો એમનો સ્વભાવ હતો. ગામના સારા કામ હોય, ચિંતા હોય કે કોઈ ગરીબ માણસને સહારો આપવાનો સમય હોય, દયાળજીભાઇ હંમેશા સૌથી પહેલા ઉભા રહેતા.આજે અડીયા ગામની આંખો ભીની છે, કારણ કે ગામે માત્ર એક વડીલ નથી ગુમાવ્યો, ગામે પોતાનો માર્ગદર્શક, ખેડૂતનો સાચો મિત્ર, ભકિતનો દીવો અને ગામના ક્રાંતિકારી વિચારો ગુમાવ્યા છે.
• પ્રાર્થના સભા (બેસણું) સ્વ. દયાળજીભાઈ ના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા (બેસણું) તા. ૩૧/૦૫/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી, દુધેશ્વર મહાદેવનું મંદિર, અડીયા ખાતે રાખવામાં આવેલ છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા