ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીએ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજાઈ
ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીએ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજાઈ
અશોક પટેલ વાંઝ સુરત:27/05/2026
ચોર્યાસી તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગામોના સ્થાનિક પ્રશ્નો તથા વિકાસલક્ષી કાર્યો અંગે આજે સવારે ૧૧:૦૦ વાગ્યે ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ચોર્યાસીના ધારાસભ્ય શ્રીસંદીપભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ચોર્યાસી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ યશ્વી પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા તથા જિલ્લા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતોના સરપંચો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી વિવિધ લોકહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
આ પ્રસંગે હજીરા વિસ્તાર, સિંચાઈ વિભાગ, ગટર વ્યવસ્થા બોર્ડ, પાણી પુરવઠા બોર્ડ, SUDA, DGVCL, મામલતદાર કચેરી, TDO કચેરી, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત ગેસ, GSRTC, GPCB, આયોજન વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફિક શાખા, RTO સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, માર્ગ, ગટર, વીજ પુરવઠા, ટ્રાફિક અને અન્ય પાયાની સુવિધાઓ સંબંધિત પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદીપ દેસાઈએ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરી લાંબા સમયથી પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે વિકાસકાર્યોમાં થતો વિલંબ ટાળવા તથા સ્થાનિક પ્રશ્નોનું સમયબદ્ધ નિરાકરણ લાવવા માટે આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.