*જિલ્લા કલેકટર શ્રી પ્રશાંત જિલોવાએ se.census.gov.in પોર્ટલ પર ઓનલાઈન નોંધાવી પોતાની વિગતો.....
*જનગણના- ૨૦૨૭_પાટણ*
*જિલ્લા કલેકટર શ્રી પ્રશાંત જિલોવાએ “se.census.gov.in પોર્ટલ પર ઓનલાઈન નોંધાવી પોતાની વિગતો*
*જિલ્લા કલેકટર શ્રી પ્રશાંત જિલોવાએ ઓનલાઈન સ્વ-ગણતરી કરી નાગરિકોને જનગણના–૨૦૨૭માં સહભાગી બનવા કરી અપીલ*
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પાટણ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જનગણના–૨૦૨૭ની કામગીરીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જનગણનાની આ મહત્ત્વપૂર્ણ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે.
પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી (House Listing and Housing Census) કામગીરી તા. ૦૧/૦૬/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં વસ્તી ગણતરીની કામગીરી તા. ૦૯/૦૨/૨૦૨૭ થી ૨૮/૦૨/૨૦૨૭ દરમિયાન યોજાનાર છે.
આ કામગીરી પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૭/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ દરમિયાન સ્વ-ગણતરી (Self-Enumeration) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના જિલ્લા કલેકટર શ્રી પ્રશાંત જિલોવાએ આજે se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી સ્વ-ગણતરી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રશાંત જિલોવાએ જણાવ્યું હતું કે જનગણના દેશના આયોજન, વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તેમણે પાટણ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે દરેક નાગરિકે સ્વયં આગળ આવી ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી બની જનગણના–૨૦૨૭ને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા સહકાર આપવો જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમ દ્વારા સ્વ-ગણતરી કરવાની સુવિધાથી નાગરિકો સરળતાથી પોતાની માહિતી નોંધાવી શકે છે, જે સમયબદ્ધ અને પારદર્શક જનગણના પ્રક્રિયા માટે ઉપયોગી સાબિત થશે.