ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'સ્વ-ગણતરી' અભિયાન અંતર્ગત પોતાના પરિવારની વિગતો ભરી
વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તીગણતરી ૨૦૨૬ના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્ય સાથે સુરત ખાતે પણ પ્રારંભ થયો છે. ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા 'સ્વ-ગણતરી' (Self-Enumeration) અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અભિયાનના બીજા દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ નાગરિકોને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને આ ડિજિટલ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે જાહેર અપીલ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, જનગણના-૨૦૨૭ માત્ર વસ્તીની ગણતરી નહીં પરંતુ દેશના ભવિષ્યના વિકાસ માટેનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ભારત સરકાર દ્વારા હાથ ધરાતી આ રાષ્ટ્રીય પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી માહિતીના આધારે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન સહિત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું અસરકારક આયોજન અને અમલીકરણ શક્ય બને છે. સાચા અને વિશ્વસનીય આંકડાઓ થકી સરકારને નીતિનિર્માણમાં દિશા મળે છે તેમજ સમાજના દરેક વર્ગ સુધી વિકાસના લાભો સમાન રીતે પહોંચાડવામાં મદદ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, સચોટ જનગણના એટલે સશક્ત વિકાસનો પાયો, અને દરેક નાગરિકની ભાગીદારી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.