ચાણસ્માના ખારી ધારિયાલ ગામે દિવ્ય રમેલ: ૨૫૦ કિલો ગુલાબથી માઁનો અભિષેક, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું......
ચાણસ્માના ખારી ધારિયાલ ગામે દિવ્ય રમેલ: ૨૫૦ કિલો ગુલાબથી માઁનો અભિષેક, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું......
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારી ધારિયાલ ગામ મુકામે એક અલૌકિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મહામાયા, ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી ભગવતી શ્રી મેલડી માઁ (સુરત) ના સાન્નિધ્યમાં અને સદ્દ ગુરૂદેવશ્રી શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધિશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના દિવ્ય માર્ગદર્શન હેઠળ તેમના વતન ખારી ધારિયાલ ગામે શ્રી જહુ - મેલડી માઁ ના નવરંગા માંડવા (રમેણ) નું ભવ્ય આયોજન પ.પૂ માડીશ્રી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.આ મંગલમય પ્રસંગે સુરતથી ખૂબ મોટી સંખ્યામાં શ્રી મેલડી માઁ પરિવારના ભાવિક ભક્તો, ખારી ધારિયાલ ગામના ગ્રામજનો, આજુબાજુના અનેક ગામના માઇભક્તો તેમજ આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. માતાજીના માંડવામાં પ.પૂ માડી શ્રી અને તેમના મોટાભાઈ શ્રી કાંતિભાઈ પટેલના આમંત્રણ (વાયક) નો સ્વીકાર કરીને વિવિધ ગામોથી પધારેલા દેવી-દેવતાઓના ઉપાસકો (ભુવાજીઓ) નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નામી કલાકારોની રમઝટ અને ભવ્ય રમેલ:આ નવરંગા માંડવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અને કલાકાર ગમન સાંથલ, ગેમર ખાખડી, વાસુ કોલા અને સુરેશ ડેર વગેરે કલાકારોએ માતાજીના ડાકલા અને ભજનોની એવી રમઝટ બોલાવી હતી કે સમગ્ર પંથક ભક્તિના રંગે રંગાઈ ગયો હતો. કલાકારોના સુરે હજારો ભક્તો મંત્રમુગ્ધ થઈને ઝૂમી ઉઠ્યા હતા અને ભવ્ય રમેલ જામી હતી.
શાસ્ત્રોક્ત પૂજન અને ગુલાબવર્ષા: ઉત્સવની શુભ શરૂઆત શ્રી જહુ-મેલડી માઁની ભક્તિભાવપૂર્વક પૂજા અને આરતી કરીને કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત હજારો ભક્તોએ પરમ પૂજ્ય માડીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મેલડી માઁને કંકુ-ચોખાથી વધાવી, ફૂલહાર પહેરાવી અને લાલ ચુંદડી ઓઢાડી ભાવવંદના કરી હતી. આ દરમિયાન માતાજી પર ૨૫૦ કિલો ગુલાબની પાંદડીઓથી ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ સુગંધિત અને દિવ્ય બની ગયું હતું.
ભુવાજીઓની હાજરી અને દિવ્ય આશીર્વાદ: માંડવા (રમેણ) દરમિયાન પધારેલા ઉપાસકો (ભુવાજીઓ) એક પછી એક ગાદી પર બિરાજમાન થયા હતા, જ્યાં તેમના પંડમાં દેવી-દેવતાઓએ દિવ્ય હાજરી આપી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. સદ્દ ગુરૂદેવશ્રી શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધિશ્વર પરમ પૂજ્ય માડીશ્રીએ પણ માંડવામાં આવેલા દરેક દીકરા-દીકરીઓ, સેવકો અને ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. સાંજે ૦૬:૦0 કલાકે તમામ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
બીજા દિવસે સવારે તેલ-ફૂલની વિધિ: રાત્રિભર કલાકારોની રમઝટ સાથે ચાલેલી ભવ્ય રમેલ બાદ, બીજા દિવસે સવારે ૦૭:૧૫ કલાકે સદ્દ ગુરૂદેવશ્રી પરમ પૂજ્ય માડીશ્રીની આગેવાનીમાં તમામ ભક્તો વાગતા ઢોલે અને માઁ મેલડીના જયઘોષ સાથે ઉગતાપોરની શ્રી મેલડી માઁ અને સૂર્ય નારાયણ દેવને તેલ-ફૂલ આપવા માટે નીકળ્યા હતા. આ વિધિ પૂર્ણ કરી સૌ ભક્તો પરમ આનંદ સાથે માંડવે પરત ફર્યા હતા. સમગ્ર ધાર્મિક મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થયો હતો.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા