ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં અમૃત મહોત્સવ પ્રસંગે દૃષ્ટિ પટેલ સન્માનિત કર્યા.
ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં અમૃત મહોત્સવ પ્રસંગે દૃષ્ટિ પટેલ સન્માનિત
ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, ઓલપાડની સ્થાપના તા. 2-3-1951 નાં રોજ થયેલ હતી. શાળાને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે શાળા પટાંગણમાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ ઝેડ. પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
75 વર્ષની આ ગૌરવવંતી સફરમાં શાળાએ હજારો વિદ્યાર્થીઓને ઘડી સમાજને તેજસ્વી નાગરિકો આપ્યા છે. શિક્ષણની સાથે સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરનાર આ વિદ્યાલયનાં અમૃત મહોત્સવ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જે પૈકી ઓલપાડ નગરનાં ઝાંપા ફળિયા નિવાસી સદર શાળાની પ્રતિભાવંત ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુમારી દૃષ્ટિ વિજયભાઈ પટેલને (ડે. સેક્શન ઓફિસર, ગુજરાત હાઇકોર્ટ)ને પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે દૃષ્ટિ પટેલે શાળાકાળનાં સંસ્મરણો વાગોળી પોતાનાં વિશેષ સન્માન બદલ શાળા પરિવાર, સ્થાનિક કેળવણી મંડળ તથા વાલી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.