વસ્તી ગણતરી ૨૦૨૬ સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા જિલ્લા કલેકટર તથા મનપાનાં સેન્સસ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી.
વસ્તી ગણતરી ૨૦૨૬ સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા જિલ્લા કલેકટર તથા મનપાનાં સેન્સસ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી
(જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકોનાં બબ્બે ઓર્ડર બાબતે વિસંગતતા)
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા આજરોજ જિલ્લા સેવા સદન, અઠવાલાઇન્સ, સુરત તથા સીટી સેન્સસ ઓફિસર, ડે. મ્યુનિસિપલ કચેરી, સુરત મહાનગર પાલિકા, સુરતને શિક્ષકોનાં વસ્તી ગણતરી ઓર્ડર સંદર્ભે ઉદ્દ્ભવેલ વિસંગતતાને લઈ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ જણાવેલ છે કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની પ્રાથમિક શાળાઓનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં તમામ શિક્ષકોનાં વસ્તી ગણતરીનાં હુકમો થયેલ છે. જે પૈકી પલસાણા તાલુકા, ચોર્યાસી તાલુકા, ઓલપાડ તાલુકા તથા કામરેજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં શિક્ષકોનાં કલેક્ટર કચેરી દ્વારા SAS પોર્ટલ પરથી યાદી મંગાવી મહાનગર પાલિકા વિસ્તારમાં પણ હુકમો થયેલ છે. આમ જોતા બબ્બે જગ્યાએ હુકમો થયેલ છે.
આ લેખિત રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગ્રામ્ય વિસ્તારનાં શિક્ષકોને પોતાની શાળાએથી ૨૦ થી ૨૫ કિ.મી. જેટલું અંતર થવા જાય છે. મહાનગર પાલિકા વિસ્તારમાં દિવસ દરમિયાન લોકો કામે ધંધે બહાર જતા હોય છે, જેથી ઘણી બધી મુશ્કેલી પડી શકે છે. જેથી સદર કચેરીએથી આપવામાં આવેલ હુકમો રદ કરી મહાનગર પાલિકા વિસ્તારમાં આવતાં શિક્ષકો કે કર્મચારીઓને જ શહેરી વિસ્તારનું કામ સોપવામાં આવે તો વઘુ અનુકૂળ રહેશે. જે સંદર્ભે ગ્રામ્ય વિસ્તારનાં શિક્ષકોનાં હુકમો રદ કરવા વિનંતી કરવામાં આવેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી.