૨૫ વર્ષની નિષ્ઠાનું ફળ: ગ્રામ્ય શિક્ષક રાજેશભાઈ સોલંકીને રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર
(૨૫ વર્ષથી ગ્રામ્ય શિક્ષણમાં નવીન પ્રયોગો કરનાર શિક્ષકની સિદ્ધિથી સુરત
૨૫ વર્ષની નિષ્ઠાનું ફળ: ગ્રામ્ય શિક્ષક રાજેશભાઈ સોલંકીને રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર
(૨૫ વર્ષથી ગ્રામ્ય શિક્ષણમાં નવીન પ્રયોગો કરનાર શિક્ષકની સિદ્ધિથી સુરત જિલ્લામાં આનંદ)
સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં લિંગડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સમર્પિત શિક્ષક રાજેશભાઈ નાગજીભાઈ સોલંકીને શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર સુરત જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. છેલ્લાં ૨૫ વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપતા રાજેશભાઈ સોલંકી ગુણવત્તાયુક્ત અને મૂલ્ય આધારિત શિક્ષણ માટે જાણીતા છે. તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા સતત પ્રયત્નો કર્યા છે. તેમની નવીન શિક્ષણ પદ્ધતિઓ, ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમ અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમથી અનેક વિદ્યાર્થીઓનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ નૈતિક અને વ્યક્તિગત વિકાસ તરફ પ્રેરિત કરવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. શિક્ષણ પ્રત્યેની તેમની લાગણી, નેતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રત્યેની જવાબદારીને કારણે તેઓ શિક્ષણ જગતમાં એક પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
તેમનાં નોધપાત્ર યોગદાનને માન્યતા આપતા જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા તેમને પ્રતિષ્ઠિત રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર ૨૦૨૬ એનાયત કરવામાં આવ્યો છે. તદ્ઉપરાંત વેલ એજયુકેશનલ એન્ડ પીસ કાઉન્સિલ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેમને શિક્ષણમાં ડોક્ટરેટની માનદ ડિગ્રી માટે પણ પસંદ કરવામાં આવ્યા છે જે ખૂબજ ગૌરવપ્રદ બાબત છે. રાજેશભાઈની આ ઉપલબ્ધિ માત્ર લિંગડ ગામ માટે જ નહીં પરંતુ સમગ્ર સુરત જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. સ્થાનિક આગેવાનો, શિક્ષણવિદો અને ગ્રામજનોએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.