સુરત: વાંઝ બ્રિજ પર અંધકાર અને ગંદકી પર ચિંતા અને કાર્યવાહીની ચીમકી
સુરત: વાંઝ ગામ નજીક NH-53 પર આવેલ બ્રિજની દયનીય હાલત અંગે હ્યુમન રાઇટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના નેશનલ ચીફ પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા સમયથી બ્રિજ પરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ છે, જે રાત્રિના સમયે વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઉભો કરે છે.
બ્રિજની બંને તરફ કચરાના ઢગલા જોવા મળે છે અને ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, જે જાહેર આરોગ્ય માટે જોખમરૂપ છે. શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું કે ટોલ કંપની દ્વારા વસૂલાત કરવામાં આવતા ટોલટેક્સના બદલામાં લાઇટિંગ, સ્વચ્છતા અને સલામતી જેવી સુવિધાઓ પૂરી પાડવી કાયદેસરની જવાબદારી છે. તેમણે ટોલટેક્સ કંપનીને 7 દિવસમાં લાઇટ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને ગંદકી દૂર કરવાની અલ્ટીમેટમ આપ્યું છે, અન્યથા ઊચ્ચ કક્ષાએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.