*પંચમહાલ ના શહેરા નગરપાલિકામાં ભાજપ મજબૂત સ્થિતિમાં, 28માંથી 17 બેઠકો બિનહરીફ*
*શહેરા નગરપાલિકામાં ભાજપ મજબૂત સ્થિતિમાં, 28માંથી 17 બેઠકો બિનહરીફ*
*લઘુમતી મોરચા પ્રદેશ અધ્યક્ષ નાહીનભાઈ કાઝીનો વોર્ડ નં. 4 માં પ્રચાર*
શહેરા, પંચમહાલ: શહેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેફુઝભાઈ અને સલીમભાઈના સમર્થનમાં વોર્ડ નંબર 4 વિસ્તારમાં ગુજરાત લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ નાહીનભાઈ કાઝી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.
પ્રચાર દરમિયાન તેમણે જણાવ્યું કે, શહેરા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 17 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, જે ભાજપ માટે મજબૂત સ્થિતિ દર્શાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શહેરા નગરપાલિકામાં ફરીથી ભાજપનું શાસન સ્થાપિત થશે.
નાહીનભાઈ કાઝીએ કહ્યું કે ભાજપનો કાર્યકર્તા દરેક પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહે છે. કોરોના કાળ હોય કે કુદરતી આપત્તિ, કે પછી વિસ્તારના પાણી, આરોગ્ય અને અન્ય સમસ્યાઓ હોય—ભાજપના કાર્યકર્તાઓ હંમેશા સેવા માટે તત્પર રહે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” ઉલ્લેખતા જણાવ્યું કે આ જ વિચારસરણી સાથે પાર્ટી આગળ વધી રહી છે.
તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. શિક્ષણ ક્ષેત્રે આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને લાભ મળે છે તેમજ અલ્પસંખ્યક નાણાકીય નિગમ દ્વારા લઘુમતી સમાજના યુવાનોને સ્વરોજગાર માટે રૂ. 15 લાખ સુધીની લોન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે અગાઉ કોંગ્રેસના શાસનમાં યોજનાઓ લોકો સુધી પહોંચતી નહોતી અને વારંવાર થતા કર્ફ્યૂને કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હતા, જ્યારે હાલ તમામ સમાજના લોકો જાગૃત બન્યા છે.
મીડિયાના પ્રશ્નનો જવાબ:
વોર્ડ નં. 4 વિસ્તારમાં પાણી અને રસ્તા જેવી સમસ્યાઓ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં નાહીનભાઈ કાઝીએ જણાવ્યું કે કેટલાક કામ સમયના અભાવે બાકી રહી ગયા હશે, પરંતુ આવનારા સમયમાં ભાજપના ઉમેદવારો વિજયી બનશે અને બાકી રહેલા તમામ વિકાસકાર્યો પૂર્ણ કરશે.