રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
કેન્દ્રિય સહકાર મંત્રી Amit Shah તથા ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelને સંબોધીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે પત્ર લખી હજીરા-સુરત ખાતે નિર્માણાધીન ઈથેનોલ પ્લાન્ટના કામમાં થયેલા લાંબા વિલંબ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ “અઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આયોજિત કાર્યક્રમ દરમિયાન ૩૫૦ કરોડના ખર્ચે અને રોજ ૨.૫૦ લાખ લીટર ક્ષમતાવાળા આ ઈથેનોલ પ્લાન્ટનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ મકાઈ અને અનાજ આધારિત ઉત્પાદન દ્વારા ખેડૂતોની આવક વધારવાનો હતો.
પરંતુ શિલાન્યાસને સાડા ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પ્લાન્ટનું કામ પૂર્ણ થયું નથી અને ઉત્પાદન શરૂ થવાની કોઈ સ્પષ્ટ સમયરેખા જાહેર કરવામાં આવી નથી. પરિણામે ખેડૂતોને અપેક્ષિત લાભ મળતો નથી અને તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
આ સંદર્ભમાં તેમણે સરકારને વિનંતી કરી છે કે પ્રોજેક્ટમાં થયેલા વિલંબના કારણોની તાત્કાલિક તપાસ કરવામાં આવે, બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને પ્લાન્ટ શરૂ કરવાની ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવે, જેથી ખેડૂતોને વાસ્તવિક લાભ મળી શકે અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂતી મળે.