ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ઇન્સાફ મંચનો જનતાને સંદેશ
વિકાસનો હિસાબ માંગો, પછી જ મત આપો” શેખ અબ્દુલ સમદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યમાં 26મી એપ્રિલે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાવાનું છે, જ્યારે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
આ મુદ્દે ઇન્સાફ મંચ (IMO)ના સ્થાપક અને પ્રમુખ શેખ અબ્દુલ સમદએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર પ્રતિનિધિઓ પસંદ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ જનતાને પોતાના હકો અને વિકાસ અંગે અવાજ ઉઠાવવાનો અવસર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણના કલમ 19(1) મુજબ દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. તેથી મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસનો હિસાબ માંગવો જોઈએ.
શેખ અબ્દુલ સમદએ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવા અપીલ કરી હતી, જેથી ચૂંટણી પ્રક્રિયા સ્વચ્છ, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
અંતમાં, ઇન્સાફ મંચે જણાવ્યું હતું કે તેઓ હંમેશા જનતાના હક, ન્યાય અને વિકાસ માટે કાર્યરત રહેશે અને ચૂંટણી દરમિયાન જનજાગૃતિ માટે સક્રિય ભૂમિકા ભજવશે.