સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ અર્થ અવર (Earth hour) નિમિત્તે જાહેર જનતા જોગ અપીલ.
વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક પર્યાવરણ અભિયાન “ અર્થ અવર ” અંતર્ગત તા. 28 માર્ચ 2026 (શનિવાર) ના રોજ રાત્રે 8:30 થી 9:30 કલાક દરમિયાન પોતાના ઘર, ઓફિસ, દુકાન તથા સંસ્થાઓમાં અનાવશ્યક લાઇટો અને વિદ્યુત ઉપકરણો બંધ રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકો, વેપારીઓ, ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને સહભાગી થવા વિનંતી કરવામાં આવે છે.
“ અર્થ અવર ” વિશ્વનું સૌથી મોટું પર્યાવરણ જાગૃતિ અભિયાન છે, જેનો મુખ્ય હેતુ ઊર્જા બચત, ગ્લોબલ વોર્મિંગ સામે લડત અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો ભાવ વિકસાવવાનો છે. એક કલાક માટે લાઇટ બંધ રાખવાનું પ્રતિકાત્મક પગલું લોકોને ઊર્જાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની પ્રેરણા આપે છે.
સુરત શહેર ઝડપથી વિકસતું શહેર છે અને ઊર્જા વપરાશ સતત વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં “ અર્થ અવર ” દ્વારા દરેક નાગરિક નાનકડા પ્રયાસ દ્વારા મોટા પરિવર્તન તરફ યોગદાન આપી શકે છે. એક કલાક માટે અનાવશ્યક વીજળીનો ઉપયોગ ટાળવાથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં, ઊર્જા બચાવવામાં અને જળવાયુ પરિવર્તન અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો મળે છે.
આ અભિયાન માત્ર એક કલાક માટે લાઇટ બંધ રાખવાનો કાર્યક્રમ નથી, પરંતુ દૈનિક જીવનમાં ઊર્જા બચત, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને ટકાઉ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે.
“ અર્થ અવર ” નિમિત્તે સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓ, જાહેર ઇમારતો, હેરિટેજ મિલકતો તથા અન્ય મનપાની મિલકતોમાં પણ અનાવશ્યક લાઇટો બંધ રાખી આ અભિયાનનો અમલ કરવામાં આવશે.
આથી સુરત મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકો, વેપારીઓ, ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંગઠનોને તા. 28.03.2026 ના રોજ રાત્રે 8:30 થી 9:30 કલાક દરમિયાન અનાવશ્યક લાઇટો બંધ રાખી “ અર્થ અવર ” અભિયાનમાં સહભાગી બની પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કરે છે.