રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
સુરત જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજ રોજ તરસાડી, જી. સુરત ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને લાભદાયી બને તેવા મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવા માટે ઋણ સ્વીકાર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા અગાઉ ૨.૫ લાખ રૂપિયા હતી, જેમાં નોંધપાત્ર વધારો કરીને હવે ૬.૦૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પ્રાપ્ત થશે અને તેઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન મળશે.
કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રોહીતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર સાહેબે સરકારની વિદ્યાર્થી હિતની યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પરમારએ પણ આ નિર્ણયને સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સ્તરના મોરચાના તમામ હોદ્દેદારો, પાર્ટીના આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવા મિત્રો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકરોએ સરકારના આ નિર્ણયનો ઋણ સ્વીકાર કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે આ યોજના માઈલસ્ટોન સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ