સરસ્વતી તાલુકાની છ શાળાઓને પોતાની સિદ્ધિઓને પ્રસ્તુત કરવાની તક મળી
પાટણ| બીઆરસી સરસ્વતી દ્વારા પાટણના જાણીતા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રીજનલ સાયન્સ સેન્ટર) ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકાની શ્રેષ્ઠ પ્રદર્શન કરતી છ શાળાઓના ઇનોવેટિવ શિક્ષકોએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પોતાની શાળાઓની વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક સિદ્ધિઓનું સુંદર વર્ણન કર્યું હતું.
આ અવસરે બીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી રતાજી ઠાકોર દ્વારા શાળાઓનું પ્રભાવશાળી પ્રેઝન્ટેશન તૈયાર કરનાર નિષ્ણાત શિક્ષકોને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં નિલેશ શ્રીમાળી (ભાટસણ પીએમ શ્રી ગુજરાત), દિલીપસિંહ ગોહિલ (પીએમ શ્રી વામૈયા), કલ્પેશ શ્રીમાળી (મેલુસણ શાળા), માંડણજી ઠાકોર (સાંપ્રા શાળા), પિયુષભાઈ પટેલ (કાતરા શાળા) અને ઉમંગભાઈ (ઉંદરા શાળા) નો સમાવેશ થાય છે. આ તમામ શિક્ષકોની મહેનત અને નવીન અભિગમને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
તાલીમ કાર્યક્રમ દરમિયાન તજજ્ઞ તરીકે શ્રી દિલીપભાઈ પ્રજાપતિ (આચાર્યશ્રી, હનુમાનપુરા વામૈયા) એ પોતાની સેવાઓ આપી હતી અને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમમાં ધોરણ 6 થી 8 અને 9 થી 12 ના મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓએ તાલીમની સાર્થકતા સ્વીકારી હતી અને વિજ્ઞાન કેન્દ્ર જેવા શૈક્ષણિક વાતાવરણમાં આ પ્રકારના આયોજન બદલ બીઆરસી ટીમનો આભાર માન્યો હતો.