સમૂહલગ્નમાં પવિત્ર બંધનમાં જોડાયેલા 18 નવદંપતિઓને હનીમૂન ટુરનું પેકેજ *દાતાશ્રી શ્રીમતી સરોજબેન તથા શ્રી રમેશકુમાર ઈશ્વરલાલ લીલાચંદ સથવારા* તરફથી
સમૂહલગ્નમાં પવિત્ર બંધનમાં જોડાયેલા 18 નવદંપતિઓને હનીમૂન ટુરનું પેકેજ *દાતાશ્રી શ્રીમતી સરોજબેન તથા શ્રી રમેશકુમાર ઈશ્વરલાલ લીલાચંદ સથવારા* તરફથી ભેટરૂપે આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને તા. 14-03-2026ના રોજ સવારે 10:00 વાગ્યે મહેસાણા રેલવે સ્ટેશને તમામ નવદંપતિઓ આનંદ અને ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ખાસ હાજર રહી નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. દાતાશ્રી સરોજબેન અને રમેશભાઈ દ્વારા નવદંપતિઓને પુષ્પગુચ્છ અર્પણ કરી તથા કોલ્ડ્રિન્ક આપી હાર્દિક આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટી મંડળના સભ્યો અને સમાજના આગેવાનો દ્વારા પણ નવદંપતિઓને હેપ્પી અને સેફ જર્નીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વિશેષમાં સમાજના ઉપપ્રમુખ શ્રી ભરતલાલ પાસેથી જાણવા મળ્યું કે સીમલા-મનાલી વિસ્તારમાં વર્તમાન પરિસ્થિતિને કારણે કેટલીક હોટેલ-રેસ્ટોરન્ટોમાં LPG ગેસ બોટલની અછત જોવા મળી રહી છે. હનીમૂન ટુર પર ગયેલા નવદંપતિઓને ભોજન બાબતે કોઈ તકલીફ ન પડે તે માટે દાતાશ્રી દ્વારા પૂર્વ આયોજનરૂપે અહીંથી ગેસની બોટલ સાથે સ્પેશિયલ ગાડી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા દાતાશ્રીની આગવી આત્મસુઝ, ઉદારતા અને નવદંપતિઓ પ્રત્યેના લાગણીસભર વિચારનો ઉત્તમ દાખલો છે.
રેલવે સ્ટેશન પર હાજર કેટલાક મુસાફરો દ્વારા પણ આ સમગ્ર વ્યવસ્થા અને સમાજની સેવા પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હતી. તેમણે પણ સમાજ અને દાતાશ્રીના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી અને માનભરી લાગણી વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. દાતાશ્રી શ્રીમતી સરોજબેન અને શ્રી રમેશકુમાર સથવારા દ્વારા નવદંપતિઓ માટે કરવામાં આવેલ આ ભવ્ય આયોજનને સૌએ દિલથી બિરદાવ્યું અને તેમના ઉદાર દાનભાવ તથા સેવાભાવની હાર્દિક વાહ વાહ કરી. સમાજના સર્વે સભ્યો દ્વારા આવા સેવાકાર્યો માટે દાતાશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.