રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
વિશ્વ ચકલી દિવસ: ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ૨૦ માર્ચનાં રોજ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીકરણ અને પ્રદૂષણને કારણે લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિનાં સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસ ચકલીઓને બચાવવા, તેમનાં કુદરતી રહેઠાણો જાળવવા અને પર્યાવરણમાં તેમનાં મહત્વને સમજવા માટે સમર્પિત છે ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.
શાળાનાં આચાર્ય કલ્પના પટેલ સહિત ઉપશિક્ષક અલ્પેશ સુરતી, નિમિષા પટેલ, દિપક પટેલ તથા જીનલ પટેલે પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને નાનકડી ચકલીઓની મહત્તા સમજાવતાં જણાવ્યું હતું કે કોંક્રિટનાં જંગલોમાં ખોવાઈ રહેલાં ચકલીઓના કલરવને પાછો લાવવો અને તેમનાં માટે જીવવાલાયક વાતાવરણ ઊભું કરવું સમયની માંગ છે. કારણ, ચકલીઓ ઈકોલોજીકલ સંતુલન જાળવવામાં અને પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતી ઈયળો અને કીટકો ખાઈને કુદરતી કીટનાશક તરીકે કામ કરે છે, જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. ઉપરાંત, તે પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરે છે. ઘરમાં કે આસપાસ તેમનો કલરવ માનસિક શાંતિ અને આત્મીયતાનો અનુભવ કરાવે છે.
ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં વિદ્યાર્થીઓએ પોતે નિર્માણ કરેલ ચકલીઘર શાળા કેમ્પસમાં સ્થાપિત કરી ચકલીઓ પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.