ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી
લોકડાયરાના કાર્યક્રમથી ઉમટી પડ્યો ઉત્સાહ
અશોક પટેલ સુરત, તા.14/03/2026 સાંજે 5.00___ :
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), સુરત દ્વારા સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી ભવ્ય અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે કિર્તીદાન ગઢવીના લોકડાયરાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સહકારી આગેવાનો તેમજ ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું આયોજન ચોર્યાસીના ધારાસભ્ય APMC સુરતના ચેરમેન સંદીપભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે સંસ્થાની વિકાસયાત્રાની ટૂંકી રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે સુરતની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની શરૂઆત માત્ર 200 વારની નાની જગ્યા પરથી થઈ હતી, જ્યારે આજે આ સંસ્થા આશરે રૂ. 3700 કરોડની ટર્નઓવર ધરાવતી મહત્વપૂર્ણ કૃષિ વેપાર સંસ્થા તરીકે વિકસેલી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કેસુરત APMCમાં આશરે 250 જેટલી વિવિધ જાતના શાકભાજીનો વેપાર થાય છે. ઉપરાંત અહીં વિવિધ પ્રકારના ફૂટરસ તેમજ અથાણાંના ઉત્પાદનોનું પણ ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે, જે બજારની વિશેષતા માનવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આજદિન સુધી સેવા આપનાર તમામ પૂર્વ ચેરમેનને યાદ કરીને તેમના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક માન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી ચેરમેન શ્રીઅશોકભાઈ ચૌધરી તથા ગુજકોમાસોલના વાઇસ ચેરમેન શ્રીબિપીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સહકારી મંડળીઓના ડિરેક્ટરો, વેપારીઓ તેમજ સ્થાનિક ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌએ APMC સુરતના વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.