છોટાઉદેપુર વન વિભાગની અપીલ: જંગલમાં દવ ન લગાવો, પર્યાવરણને ગંભીર નુકસાન
સમાચાર:
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જંગલ અને ખુલ્લા વિસ્તારોમાં દવ લગાડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર વન વિભાગ દ્વારા જાહેર જનતાને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ જંગલ વિસ્તારમાં કે તેની આસપાસ દવ ન લગાવે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દવ લગાવવાના કારણે જંગલના વૃક્ષો, વનસ્પતિ તેમજ જંગલી પ્રાણીઓના જીવન પર ગંભીર અસર પડી રહી છે. દવના ધુમાડા અને આગના કારણે પર્યાવરણનું સંતુલન બગડે છે અને અનેક નિર્દોષ પ્રાણીઓનું જીવન જોખમમાં મુકાઈ જાય છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે દવના કારણે જમીનની ઉપજ ક્ષમતા પણ ઘટે છે અને કુદરતી સંપત્તિને મોટું નુકસાન થાય છે. તેથી દરેક નાગરિકની ફરજ છે કે તેઓ પર્યાવરણનું રક્ષણ કરે અને આવી પ્રવૃત્તિઓથી દૂર રહે.
વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય દવ લગાડવાની ઘટના નજરે પડે તો તરત જ વન વિભાગને જાણ કરે.