કવાંટ ગેર મેળામાં વન વિભાગની પર્યાવરણ જાગૃતિની અનોખી પહેલ
કવાંટ ખાતે યોજાયેલા વિશ્વવિખ્યાત ગેર મેળામાં વન વિભાગ છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. વિભાગના સ્ટાફે બેનરો સાથે મેળાના જનમેદની વચ્ચે ફરી લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો.
આ અભિયાનનો હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવાનો તેમજ વૃક્ષો ઉછેર, જળ-જંગલ-જમીનના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો. મેળામાં આવેલા હજારો લોકો સુધી સંદેશ પહોંચે અને તેઓ પોતાના ગામે જઈ વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો.
લોકોને ઔષધીય, ફળાઉ અને ઇમારતી વૃક્ષો વાવી પર્યાવરણમાં યોગદાન આપવા પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વન વિભાગના નાયબ વન સંરક્ષક આર.બી. સોલંકી તેમજ એ.સી.એફ. ફતેહ મીના (IFS) સહિત આર.એફ.ઓ. અને સ્ટાફ બેનર સાથે જોડાયા હતા. ગેર મેળાની જનમેદનીમાં આ પર્યાવરણ જાગૃતિ અભિયાન અનોખું આકર્ષણ બન્યું હતું અને લોકોને સકારાત્મક સંદેશ આપ્યો હતો.
રિપોર્ટર ઈમરાન મિર્ઝા છોટાઉદેપુર