માધાપર ખાતે દિનેશમુનિ મહારાજ સાહેબના દીક્ષા પર્યાય સુવર્ણ વર્ષ નિમિત્તે ‘પુણ્યના પાંચ દિવસ’ આરાધના કાર્યક્રમ યોજાયો
માધાપર ખાતે દિનેશમુનિ મહારાજ સાહેબના દીક્ષા પર્યાય સુવર્ણ વર્ષ નિમિત્તે ‘પુણ્યના પાંચ દિવસ’ આરાધના કાર્યક્રમ યોજાયો
માધાપર : શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ – માધાપર દ્વારા પ.પૂ. દિનેશમુનિ મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતોના દીક્ષા પર્યાયના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુવર્ણ વર્ષ ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ.પૂ. દિનેશમુનિ મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતોનો શ્રી વર્ધમાન સ્થા. જૈન સ્થાનકમાં વાજતે-ગાજતે શેષકાળ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સવારના શુભ મુહૂર્તે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા તેમજ યુવાનો ઉપસ્થિત રહી ગુરુભગવંતોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
ઉપકારી ગુરુભગવંતના ૫૦ વર્ષના દીક્ષા પર્યાયની ઉજવણીના ભાગરૂપે આયોજિત “પુણ્યના પાંચ દિવસ” આરાધનામાં અનેક આરાધકો ભાવપૂર્વક જોડાયા હતા. ગુરુવાણી દ્વારા શ્રી સંઘ તેમજ આરાધકોમાં ધાર્મિક ઉત્સાહ અને ભાવના વધારતા સૌએ આત્મકલ્યાણનો લાભ લીધો હતો.
શ્રી સંઘ પ્રમુખ વસંતભાઈ ભાભેરાએ સ્વાગત પ્રવચનમાં મહારાજ સાહેબનું હાર્દિક સ્વાગત કરતા સૌને વ્યાખ્યાન વાણી તેમજ આરાધનામાં જોડાવા અપીલ કરી હતી. સાથે જ તેમણે શ્રી હિતેશભાઈ ખંડોલને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂંક બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ ખંડોલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે જિનેશભાઈ શેઠે સહકાર આપ્યો હતો. વ્યાખ્યાન બાદ પ્રભાવનાનો લાભ ૨૦૨૭ના લાભાર્થી પરિવારો દ્વારા લેવામાં આવ્યો હતો.