ચોટીલામાં નવા મામલતદારની નિમણૂક: દબાણ વિવાદ બાદ મામલતદાર તરીકે ઉપેન્દ્રસિંહ વાઘેલાને જવાબદારી
ચોટીલામાં દબાણ હટાવવા મુદ્દે ચાલેલા વિવાદ બાદ વહીવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદના મામલતદાર ઉપેન્દ્રસિંહ કે. વાઘેલાની ચોટીલાના નવા કાયમી મામલતદાર તરીકે નિમણૂક કરાઈ છે. રાજ્યના મહેસૂલ વિભાગે 13 ફેબ્રુઆરી, 2025ના રોજ આ અંગે સત્તાવાર અધિસૂચના બહાર પાડી હતી.
છેલ્લા કેટલાક દિવસથી ચોટીલા હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ઇન્ચાર્જ મામલતદાર
દેવેન્દ્રભાઈ વ્યાસની કાર્યશૈલી સામે વિવાદ સર્જાયો હતો.
ચોટીલા ડુંગર મહંત પરિવારના મનસુખગીરીએ વહીવટી તંત્ર પર પક્ષપાતના આક્ષેપો કર્યા હતા. આના કારણે વહીવટમાં રોષની લાગણી ફેલાઈ હતી અને તંત્રની છબીને અસર થઈ હતી. આ મામલો ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો હતો.
ગાંધીનગર સચિવાલયના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી અધિસૂચના (ક્રમાંક: નમક/૧૦૨૦૨૬/૨/ડી. ૧) અનુસાર, આ વહીવટી ફેરફાર જાહેર હિતમાં કરાયો છે.
ઉપેન્દ્રસિંહ કે. વાઘેલાને અમદાવાદથી બદલી કરીને ચોટીલાના મામલતદાર (વર્ગ-૨ યુક્ત કરાયા છે. દેવેન્દ્રભાઈ નવીનચંદ્ર વ્યાસ અત્યાર સુધી ચોટીલામાં ઇન્ચાર્જ મામલતદાર તરીકે કાર્યરત હતા, જેમના કાર્યકાળ દરમિયાન દબાણનો મુદ્દો વિવાદિત રહ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અસ્થિરતા અને વિવાદ બાદ નવા મામલતદાર પાસેથી અનેક અપેક્ષાઓ છે. દબાણ હટાવવાની ઝુંબેશમાં પારદર્શકતા લાવવી અને પક્ષપાત વગર સમાન ધોરણે કાર્યવાહી કરવી તે મુખ્ય પડકાર છે.
યાત્રાધામમાં આવતા શ્રદ્ધાળુઓ માટે રસ્તાઓ મોકળા કરવા અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો પણ નવા મામલતદાર માટે એક મહત્વપૂર્ણ કાર્ય છે. વહીવટી તંત્ર પ્રત્યે સ્થાનિક લોકોમાં ફરીથી વિશ્વાસ જગાડવો પણ જરૂરી છે.
ચોટીલાની જનતા આશા રાખી રહી છે કે નવા કાયમી મામલતદારના આગમનથી વહીવટી સુધારા થશે અને શહેરના વિકાસલક્ષી કામોને વેગ મળશે.