logo

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંબાજીના ત્રિશુળીયા ઘાટ પર ૧૬ ફૂટ ઊંચા દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ભવ્ય અનાવરણ કરાયું

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંબાજીના ત્રિશુળીયા ઘાટ પર ૧૬ ફૂટ ઊંચા દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ભવ્ય અનાવરણ કરાયું*
*******
*હિમાલયની ૧૫૦૦ વર્ષ જૂની પૌરાણિક શક્તિનું અંબાજીમાં અવતરણ: ૧૬ ફૂટ ઊંચું “અખંડ શક્તિ ત્રિશૂળ” બન્યું શ્રદ્ધા અને સુરક્ષાનું પ્રતીક*
*******
*ત્રિશુળીયા ઘાટ પર દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ભવ્ય અનાવરણ*
*******
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા:87/16

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળીયા ઘાટ પર આજે શ્રદ્ધા અને સુરક્ષાનો અનોખો સંગમ રચાયો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ૧૬ ફૂટ ઊંચા દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ગરિમાપૂર્ણ રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે “અખંડ શક્તિ ત્રિશૂળ”નું વિધિવત અનુષ્ઠાન સંપન્ન થયું હતું.

હિમાલયની ૧૫૦૦ વર્ષ જૂની પૌરાણિક ઉર્જાને ગુજરાતની ધરા પર લાવતા આ પ્રકલ્પ દ્વારા અંબાજીની ભવ્યતામાં એક નવું સોપાન ઉમેરાયું છે. હિમાલયની પૌરાણિક શક્તિનું ગુજરાતમાં અવતરણ આ સ્થાપિત થયેલ અખંડ શક્તિ ત્રિશૂળ એ ઉત્તરકાશીમાં સ્થિત પૌરાણિક શક્તિ ત્રિશૂળની પ્રથમ પ્રતિકૃતિ છે. પૌરાણિક માન્યતા મુજબ, આ એ જ દિવ્ય ત્રિશૂળ છે જેનાથી માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. આધ્યાત્મિક મર્યાદા જાળવવા માટે, મૂળ ૧૮ ફૂટના ત્રિશૂળની સાપેક્ષે અહીં ૧૬ ફૂટની આ પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે, જે શક્તિ ઉપાસકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર બનશે.

ભૂતકાળમાં અકસ્માતપ્રવણ ગણાતો ત્રિશુળીયા ઘાટ હવે 'રોલર ક્રેશ બેરિયર' જેવી અત્યાધુનિક કોરિયન ટેકનોલોજીને કારણે સુરક્ષિત બન્યો છે. આ સુરક્ષિત માર્ગ પર હવે દિવ્ય ત્રિશૂળની સ્થાપના થતા આ વિસ્તાર 'સુરક્ષા અને સંસ્કૃતિ'નું પ્રતીક બન્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તકે આધ્યાત્મિક વિકાસની સંકલ્પનાને દોહરાવી હતી.

અમદાવાદના જય ભોલે ગ્રુપના સહયોગ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી આ પ્રકલ્પ સાકાર થયો છે. યાત્રિકો માટે અહીં ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મના માધ્યમથી મહિષાસુર મર્દિનીની કથા અને શક્તિપીઠનું મહત્વ પણ પ્રદર્શિત કરવામાં આવશે, જે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવશે.

આ ભવ્ય અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અંબાજી યાત્રાધામની વૈશ્વિક ઓળખ વધારવા બદલ અને શ્રદ્ધાળુઓ માટે આ દિવ્ય ભેટ અર્પણ કરવા બદલ સર્વે સેવાભાવી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.
***

0
792 views