
આગળ ચાલીને જતાં યુવકને ક્રેનચાલકે કચડી માર્યો, Gujrat Baroda
વડોદરામાં તોતિંગ ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત
સંબંધીને મળવા જતાં સમયે પાછળતી ક્રેન મોત બનીને ત્રાટકી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક રાહદારીનું ક્રેન અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ક્રેન ડ્રાઇવરની અટકાયત કરી છે. આ અકસ્માતની ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.
જોઈ શકાય છે કે, યુવક પોતાની ધુનમાં ચાલીને જઈ રહ્યો છે અને અચાનક પાછળથી આવતી ક્રેને યુવકને અડફેટે લઈ કચડી નાખ્યો હતો.
અકસ્માત સમયે હાથમાં રહેલો ફોન ન છુંટ્યો.
સંબંધીને મળવા જતાં રસ્તામાં મોત ત્રાટક્યું મકરપુરા ડેપોથી જી.આઈ.ડી.સી. તરફ જતા રસ્તા પર રાહદારી વિનુભાઈ ભાભોર (દાહોદ જિલ્લાના ડોકી ગામના નિવાસી, હાલ વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહે છે) પોતાના સંબંધીને મળવા જઈ રહ્યા હતા. તેમને ક્રેનના ચાલકે અડફેટે લીધા હતા. ક્રેનના તોતિંગ પૈડા નીચે આવી જવાથી રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં.
અકસ્માતની ઘટના CCTVમાં કેદ અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
મકરપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ઘટનાના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજમાં ક્રેન ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. મકરપુરા પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ અકસ્માત અને બેદરકારીથી મૃત્યુના આરોપસર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએઃ જયેશભાઈ
મકરપુરા GIDCમાં કંપની ચલાવતા વેપારી જયેશભાઈએ જણાવ્યું હતું કે, જે માણસ ગુજરી ગયો છે, એના ઘરવાળાને તો ખબર પણ નથી કે એમના પરિવારનો સભ્ય હવે આ દુનિયામાં નથી. આ અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.
રસ્તાઓ પરથી દબાણો હટાવવા જ પડશે.
પોલીસે સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો.
મોટી ગાડીઓ અને ક્રેન વાળા ગમે તેમ સ્પીડમાં જાય છેઃ યુવક
અન્ય એક યુવકે જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટો ચાલતી નથી. રસ્તો બનાવે છે અને પાછો ખોદી નાખે છે. મોટી ગાડીઓ અને ક્રેન વાળા ગમે તેમ સ્પીડમાં જાય છે. હજુ 13 જાન્યુઆરીએ રાત્રે અહીં જ એક ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને આજે ફરી આ અકસ્માત થયો છે. શું સરકાર આની જવાબદારી લેશે?