logo

હિલોક હોટેલ પસેનો કટ આમદાવાદ ખોલવા બાબત

પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ
ગુજરાત રાજ્ય
અને
માનનીય ધારાસભ્યશ્રી
ઘાટલોડિયા વિધાનસભા બેઠક

વિષય: ન્યુ ત્રાગડ (TP-233) વિસ્તારમાં જનજીવનને ગંભીર અસર કરતી માર્ગ વ્યવસ્થા બાબત તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અંગે વિનંતી.

માનનીય સાહેબ,

અમે અમદાવાદ શહેરના રિંગ રોડની બીજી બાજુ આવેલ ન્યુ ત્રાગડ (TP-233) વિસ્તારમાં રહેતા રહીશો છીએ, અમારે ખૂબ જ આશા અને વ્યથાભર્યા હૃદયથી આ રજૂઆત આપના ચરણોમાં મુકીએ છીએ.

અમારો વિસ્તાર રિંગ રોડની બીજી બાજુ એ આવેલો છે જે ગાંધીનગર મ્યુનિસિપલ સીમા નજીક આવેલ છે. આ કારણે છેલ્લા ત્રણ વર્ષથી અમારા વિસ્તાર સાથે સરકારી કામકાજમાં ગંભીર અવગણના થઈ રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા નિયમિત પોસ્ટ વિતરણમાં અડચણો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમિત સફાઈ તથા અન્ય મૂળભૂત સુવિધાઓમાં બેદરકારી જેવી અનેક સમસ્યાઓનો અમે સતત સામનો કરી રહ્યા છીએ.

હાલમાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વૈષ્ણોદેવી અંડરબ્રિજથી હિલલોક હોટલ સામેનો માર્ગ, જે રિંગ રોડની એક બાજુથી બીજી બાજુ જવા માટે અત્યંત મહત્વપૂર્ણ હતો, તેને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 17/01/2026 ના રોજ કાયમી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ માર્ગ બંધ થવાથી ન્યુ ત્રાગડ વિસ્તારમાં રહેતા નાગરિકો તથા સ્કૂલે જતા નાના બાળકોને હવે ઝુંડાલ સર્કલ સુધી લગભગ 6 જવા અને આવવા માટે બીજો 6 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે. આ માત્ર અસુવિધા નહીં પરંતુ રોજિંદા જીવન માટે ગંભીર સંકટ બની ગયું છે.

માનનીય સાહેબ,
હું આપના માધ્યમ થી જણાવવા માંગુ છું કે જો કોઈ ઇમરજન્સી જેવી કે હોસ્પિટલ જવાની પરિસ્થિતિ ઊભી થાય, 108 એમ્બ્યુલન્સ સેવા પહોંચવામાં વિલંબ થાય અને તેના કારણે કોઈ દર્દીનો જીવ જોખમમાં પડે તો તેની જવાબદારી કોણ લેશે?
કોઈ મકાનમાં ફાયર ઇમરજન્સી સર્જાય અને ફાયર બ્રિગેડને ઝુંડાલ સર્કલ સુધી ફરીને આવવું પડે, પરિણામે જાન-માલનું મોટું નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે?

અમારો વિસ્તાર ત્રાગડ ગામની TPમાં આવે છે, ગાંધીનગર TPમાં નહીં, છતાં અમારી સાથે એવો વ્યવહાર થઈ રહ્યો છે જાણે અમે કોઈ બીજા શહેર માં રહેતા હોઈએ. અમને અમદાવાદ શહેરથી જાણબૂઝીને અલગ પાડવામાં આવી રહ્યા હોવાનો અહેસાસ આજે દરેક રહીશ અનુભવી રહ્યો છે.

માનનીય મુખ્યમંત્રીશ્રી,
હું આપના માધ્યમ થી AMC જેવી સંસ્થા તથા ગુજરાત ગૃહ નિર્માણ જેવી સરકારી ઓફિસો ને કહેવા માંગીએ છીએ કે જો અમારા વિસ્તારના લોકો સાથે આવો વ્યવહાર કરવો જ હતો, તો પહેલાંથી અમારી TP ગાંધીનગર તરફ કેમ પાસ કરવામાં આવી? સરકાર દ્વારા માર્ગ આયોજન અને ભવિષ્યની જરૂરિયાતોનું યોગ્ય મૂલ્યાંકન કેમ કરવામાં આવ્યું નથી?

સૌથી દુઃખદ અને વ્યથાજનક વાત એ છે કે, આપ અમારા પોતાના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાઈને આજે સમગ્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છો. જે સામાન્ય નાગરિક માટે પોતાના વિસ્તારના ધારાસભ્યને મળવું શક્ય હોય છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી સુધી પોતાની વેદના પહોંચાડવી સહેલી બાબત નથી. આ કારણે અમારી રોજબરોજની પીડા, મુશ્કેલીઓ અને ગંભીર સમસ્યાઓ આપ સુધી સમયસર પહોંચી શકતી નથી. ઉપરથી, અમારા આવાગમનના મહત્વપૂર્ણ રસ્તાઓ બંધ થતાં એવું લાગે છે કે માત્ર માર્ગ જ નહીં પરંતુ અમારો અવાજ પણ જાણે બંધ કરી દેવામાં આવ્યો હોય. તેની સૌથી મોટી અને દુઃખદ કિંમત આજે ન્યુ ત્રાગડ વિસ્તારના નિર્દોષ રહીશો પોતાના રોજિંદા જીવનમાં ભોગવી રહ્યા છે.

આ અગાઉ અંડરબ્રિજ નજીકનો માર્ગ બંધ કરીને હિલલોક હોટલ સામેનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જે યોગ્ય હતો કારણ કે અંડરબ્રિજમાં ટ્રાફિક થતો હતો. જે એ પગલું યોગ્ય હતું. પરંતુ હિલલોક હોટલ ની સામે ના રસ્તા માટે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે સવાર-સાંજ ટ્રાફિક પોલીસની સંખ્યા વધારી વ્યવસ્થા કરવી શક્ય હતી. પરંતુ પોલીસ જવાનો વધાર્યા વગર આખો માર્ગ જ કાયમી રીતે બંધ કરી દેવું આ કોઈ ન્યાયસંગત કે લોકહિતમાં લેવાયેલ નિર્ણય નથી.

અંતમાં, અમે તમામ ન્યુ ત્રાગડ વિસ્તારના રહીશો આપને નમ્ર પરંતુ તાત્કાલિક વિનંતી કરીએ છીએ કે, હિલલોક હોટલ સામે બંધ કરાયેલ માર્ગ આપ જાતે હસ્તક્ષેપ કરીને ફરીથી ખુલ્લો કરાવશો. સાથે રીગ રોડ થી બીજું બાજુ જવા માટે કાયમી મોટો અંડર પાસ બનાવી આપવા માટે આપને નમ્ર વિનંતી છે. જે આપનો એક નિર્ણય અમારા વિસ્તારના હજારો નાગરિકોના જીવનને ફરીથી સરળ, સુરક્ષિત અને નિર્ભય બનાવી શકે છે.

આપની લોકહિત માટેની સંવેદનશીલતા અને ન્યાયપ્રિયતા પર અમને પૂર્ણ વિશ્વાસ છે.

આપના સકારાત્મક અને તાત્કાલિક પ્રતિભાવની અપેક્ષા સાથે,

વિનમ્ર અરજદારો

ન્યુ ત્રાગડ (TP-233) વિસ્તારના રહીશો
અમદાવાદ.

17
626 views