
પીએમ નરેન્દ્ર મોદી ભુજમાં : કહ્યું “મારો અને કચ્છનો સંબંધ બહુ જૂનો છે”
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર PM મોદી ગુજરાત મુલાકાતે છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ સવારે 10 વાગ્યે કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ PM મોદી દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં તેમણે 11.30 વાગ્યે રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
ત્યારબાદ PM મોદી ભુજ પહોંચ્યા હતા. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજી સભા સ્થળેપહોંચી રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુંહતું. બાદમાં પીએમ મોદીએ કચ્છી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.
આજે કચ્છ વેપાર, ટુરિઝમનું એક મોટું સેન્ટર છે. આવનારા સમયમાં કચ્છની ભૂમિકા મોટી થવાની છે. જ્યારે પણ હું કચ્છના વિકાસને ગતિ આપવા આવું છે ત્યારે મને લાગે છે કે, હું કંઈક નવું કરીશ. આજે અહીં વિકાસ સાથે જોડાયેલા 50 હજાર કરોડથી વધુના વિકાસકામોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. એક સમય હતો કે, આખા ગુજરાતમાં 50 હજાર કરોડની યોજનાની વાત સંભળાતી ન હતી.
જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગતું હતું કે, બધુ ખતમ. હવે કંઈ નહીં થઈ શકે. કચ્છ મોતની ચાદર ઓઢીને સૂતું હતું. પણ મેં ક્યારેય મારો વિશ્વાસ ખોયો ન હતો. મારો વિશ્વાસ કચ્છી ખમીર પર હતો. એટલે જ હું કહેતો હતો કે, બાળકોને ભણાવવું પડશે કે કચ્છનો ક અને ખમીરનો ખ. મને વિશ્વાસ હતો કે, કચ્છ આ સંકટને પરાસ્ત કરશે. ભૂકંપને પણ કંપાવીને મારા કચ્છીમાડુ ઉભો થઈ જશે. અને તમે બિલકુલ એવું જ કર્યું.
જૂની પેઢીના લોકો જાણે છે કે, વર્તમાન પેઢીને કદાચ ખબર નથી. આજે અહીંનું જીવન બહુ આસાન થઈ ગયું પણ ત્યારે હાલાત કંઈક ઔર હતી. જ્યારે મુખ્યમંત્રીના રૂપમાં પ્રથમવાર નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું ત્યારે એ દિવસ કચ્છ માટે દિવાળી બની ગયો હતો. મારું સૌભાગ્ય છે કે, સૂકી ધરતી પર પાણી પહોંચાડવા નિમિત બનવાનો મને અવસર મળ્યો.
તમારો લોકોને પ્રેમ એટલો છે કે, હું કચ્છ આવતા રોકાઈ નથી શકતો,. સત્તા સાથે મારે કોઈ લેવાદેવા નહોતું ત્યારે પણ કચ્છની ધરતી પર સતત આવવું સહજ હતું. અહીં ખૂણે ખૂણે જવાનો મોકો મળ્યો છે. કચ્છના લોકો, લોકોને આત્મવિશ્વાસ, અભાવોની વચ્ચે પણ આત્મવિશ્વાસથી ભરેલા લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે.