ગોધરા નગરપાલિકાની બેદરકારી? અબ્દુરહિમ મસ્જિદ સામે ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ
ગોધરા નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અબ્દુરહિમ મસ્જિદની સામે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ગોધરા નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ સંબંધિત વિભાગમાં મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાઈ જતાં આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મસ્જિદમાં નમાઝ માટે આવતા લોકોને તેમજ આસપાસના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર માત્ર આશ્વાસન આપે છે પરંતુ સ્થળ પર યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત અથવા આંદોલન કરવામાં આવી શકે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ રહી છે.