વડાલ ખાતે યોગ ટ્રેનરો માટે ત્રણ દિવસીય રિફ્રેશર કોર્સ યોજાયો
જૂનાગઢ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાલ ખાતે તા. ૩૦.૦૪.૨૦૨૬ થી ૦૨.૦૫.૨૦૨૬ સુધી યોગ ટ્રેનરો માટે ત્રણ દિવસીય રિફ્રેશર ટ્રેનીંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ યોગ ટ્રેનરોના જ્ઞાન, કૌશલ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ગુણવત્તા વધારો કરવાનો હતો.
આ તાલીમમાં આસન, પ્રાણાયામ, ધ્યાન તથા શટકર્મ વિષયક તાત્વિક અને પ્રાયોગિક માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું. સલામતી, યોગ્ય ટેકનિક અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી, સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વાલજીભાઈ ડાભી અને અમરેલી જિલ્લા કોર્ડિનેટર સાગર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીનાં ૮ યોગ ટ્રેનરો શારદાબહેન, અનિતાબહેન, ચેતનાબહેન, મનુબહેન, સંગીતાબહેન, બિન્દુ બહેન અને રશ્મિબહેન એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ટ્રેનરો દ્વારા જણાવ્યું કે આ તાલીમથી તેમને આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ યોગ શિક્ષણ વધુ સારી રીતે આપી શકશે. આયોજકોનું કહેવું છે કે આવી તાલીમો રાજ્યમાં યોગના સ્તરને મજબૂત બનાવશે અને સ્વસ્થ સમાજ નિર્માણમાં યોગનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.