નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના નવા ભવનની લોકાર્પણવિધિ કરવામાં આવેલ.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૦૩ શ્રી મોરારજી દેસાઈ પ્રાથમિક શાળાના નવા ભવનની લોકાર્પણવિધિ ઉમરા ગામ, પીપલોદ , સુરત ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે સંપન્ન કરવામાં આવેલ. આ શાળા ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા વિભાગના સહયોગથી રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે સાકારિત કરવામાં આવેલ છે. આ શાળા બનવાથી આ વિસ્તારના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.
આ કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પ્રવચન માં જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા અને ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ સાથે સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે કટિબદ્ધ છે અને સુરત મહાનગર પાલિકા દ્વારા વિધાર્થીઓને બે જોડી યુનિફોર્મ, સ્કૂલ બુટ, સ્પોર્ટ યુનિફોર્મ, સ્પોર્ટ સુઝ, સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે. સરકારી શાળામાં વિધાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા પામેલ છે અને પ્રાઇવેટ શાળાઓમાંથી પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે તેમ જણાવેલ.ત્યારબાદ તેઓએ વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં ચર્ચા કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું અને શાળા, શહેર, અને દેશને સ્વચ્છ રાખવા માટે ભાર મૂક્યો.
ગુજરાત સરકારશ્રીના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આજદિન સુધી ૨૫૦ કરોડથી વધુના ખર્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ૬૩ શાળા ભવનો મંજૂર કરવામાં આવેલ છે.
સદર કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, ડે. મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ, શાળાનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સુરત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ તથા અન્ય મહાનુભવો મળી બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.