logo

ભાટસણ પગાર કેન્દ્ર શાળા ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન યોજાયું

•કવિઓએ માતૃભાષા સંવર્ધન વિષય પર વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી, જમાવી અનોખી સાહિત્યિક મહેફિલ

પાટણ :
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમશ્રી - ગુજરાત, તા. સરસ્વતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘માતૃભાષા સપ્તાહ’ અંતર્ગત ભવ્ય કવિ સંમેલન ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં તારીખ 17/02/ 2026 ના રોજ બપોરે ત્રણ થી પાંચ કલાક દરમિયાન યોજાઈ ગયું. “મળી માતૃભાષા મને ગુજરાતી” થીમ પર આધારિત આ કાર્યક્રમમાં સાહિત્યિક રંગો સાથે ગુજરાતી ભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો, શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોને પુસ્તક, સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે ડાયટ પાટણના ડૉ. દશરથ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતૃભાષાના શિક્ષણ અને સંસ્કારમાં રહેલા મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અતિથિ વિશેષ તરીકે બીઆરસી સરસ્વતી શ્રી રતાજી ઠાકોર દ્વારા શાળાના આ સુંદર પ્રયાસને બિરદાવતા માતૃભાષા સંવર્ધન પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

કવિ સંમેલનમાં પધારેલા જાણીતા કવિઓએ પોતાની રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા; જેમાં
શ્રી મંગળ રાવળ 'સ્નેહાતુર' એ પોતાની કવિતાઓ દ્વારા માતૃભાષા પ્રત્યેની સંવેદનાઓ રજૂ કરી હતી.
શ્રી પીયૂષ ચાવડા અને શ્રી કલ્પેશ ચાવડા 'સહજ' એ ગઝલ અને કાવ્યપઠન દ્વારા ગુજરાતી ભાષાની મીઠાશ અને ગૌરવને ઉજાગર કર્યું હતું. પાટણ જિલ્લાના સાહિત્ય રસિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા; જેમાં કવિ શ્રી અનિલ યોગ અને પીકે કોટાવાળા આર્ટસ કોલેજના અધ્યાપકોની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

ભાટસણ પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ સુથારના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંયોજન શ્રી નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉપસ્થિત તમામ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ, સાહિત્ય રસિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

4
1100 views