ચાણસ્માના પીપળેશ્વર મહાદેવ મંદિરે અધિક જેઠ માસ નિમિત્તે પુરુષોત્તમ ભગવાનની ભક્તિનો અનોખો માહોલ: રોજ ૨૫૦થી વધુ બહેનો કરે છે પૂજા....
ચાણસ્માના પીપળેશ્વર મહાદેવ મંદિરે અધિક જેઠ માસ નિમિત્તે પુરુષોત્તમ ભગવાનની ભક્તિનો અનોખો માહોલ: રોજ ૨૫૦થી વધુ બહેનો કરે છે પૂજા....
ચાણસ્મા: મુકેશ પિત્રોડા
પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે ધાર્મિક સ્થાનો પર ભક્તિનો માહોલ જામ્યો છે. ચાણસ્મા ગામે આવેલા ઐતિહાસિક પીપળેશ્વર મહાદેવના મંદિરે અધિક માસના કોઠાગોર માં ના પુરુષોત્તમ ભગવાનની વિશેષ પૂજા-અર્ચનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ અધિક જેઠ સુદ એકમથી શરૂ થઈને અધિક જેઠ વદ અમાસ સુધી સતત ચાલશે.
મંદિરમાં દરરોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે પૂજા-અર્ચના ચાલુ રહે છે. આ પૂજાના વિશેષ મહત્વ અને મહિમા અંગે માહિતી આપતા મંદિરના પૂજારી શ્રી નવીનભાઈ મહારાજે જણાવ્યું હતું કે, અધિક માસમાં ભગવાન પુરુષોત્તમની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ પવિત્ર પૂજાનો લાભ લેવા માટે દરરોજ સવારે ૨૫૦ થી ૩૦૦ જેટલી બહેનો-શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડે છે. ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને પૂજારી શ્રી નવીનભાઈ મહારાજ દ્વારા મંદિરે આવતી તમામ બહેનો માટે દરરોજ ઠંડા પાણી તેમજ પવિત્ર પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો દ્વારા પરંપરાગત વિધિ-વિધાન અને ભક્તિભાવ પૂર્વક પૂજા કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને મંગલમય મંત્રોચ્ચારોથી ગુંજી ઉઠ્યું છે.